બાળસાહિત્યમાં પ્રકાશનના પડકારો

બાળસાહિત્ય અકાદમીના પંદરમા અધિવેશન વેળાએ વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે આપેલું વક્તવ્ય (તા. ૧૧.૦૧.૨૦૧૫)
(બાળસાહિત્ય અકાદમીની પુસ્તિકા ૪૨-૪૩-૪૪માં પ્રકાશિત)

બાળસાહિત્ય અકાદમી દ્વારા મને આ વિષય સોંપવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં તો મને એ સમજાયું ન હતું, કે આ વિષયમાં હું કેટલુંક અને કેવુંક બોલી શકીશ! પરંતુ ઈન્દોર ખાતે સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં બાળસાહિત્યનું સરવૈયું રજુ કરવા માટે હું તૈયારી કરી રહી હતી, ત્યારે ૨૦૧૨-૧૩ના વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં પુસ્તકોમાંથી પસાર થવાનો અવસર, કહો કે સદ્ભાગ્ય મને મળ્યું. એ પુસ્તકોના વાચન દરમ્યાન મારા આજના આ વક્તવ્યની ભૂમિકા પણ સમાંતરે જ તૈયાર થતી ગઈ. બાળસાહિત્યના પ્રકાશનની સામેના પડકારો અંગેના મોટાભાગના મુદ્દાઓ બાબતે મારા મનમાં જે અવઢવ હતી, તે આ પુસ્તકોમાંથી પસાર થતી વેળાએ દૂર થતી ગઈ, અને તેની સાથે બીજો એક અન્ય મુદ્દો જોડતાં, મને લાગે છે કે આ મુદ્દે વાત કરવા માટે હું કદાચ યોગ્ય વ્યક્તિ જ છું! અને આ બીજો મુદ્દો તે એ, કે અમારાં આજ સુધીનાં બધાં જ પુસ્તકોનું પ્રકાશનકાર્ય અમે જાતે, અને તે પણ વીના વિઘ્ને પૂરું કર્યું છે.

અમારાં અને અન્ય મિત્રો સહિત કુલ દસેક પુસ્તકોની પ્રકાશન વ્યવસ્થા જાતે સંભાળ્યા પછી, પુસ્તક પ્રકાશનના અનેક મુદ્દાઓ મારા ધ્યાનમાં આવ્યા હતા, જે અમને સમસ્યારૂપ લાગ્યા હતા. પરંતુ તે પછી બાળસાહિત્યનું સરવૈયું લખતી વેળાએ મળેલાં પુસ્તકો વાંચવાના અનુભવે મને લાગ્યું છે, બાળસાહિત્યના પ્રકાશન ક્ષેત્રે ખરેખર તો કોઈ પડકાર છે જ નહીં. ખરેખર, કોઈ જ પડકાર નથી આ ક્ષેત્રે! બહુ જ સ્વાયત્ત ક્ષેત્ર છે આ તો! મને મળેલી યાદી મૂજબ, ૨૦૧૨-૧૩ના બે વર્ષ દરમ્યાનમાં જ આ વિષયનાં લગભગ ૩૫૦ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં અને તે પણ ૩૨ જેટલા વ્યાવસાયિક અને ૩૦ જેટલાં અંગત પ્રકાશકો દ્વારા, (અંગત પ્રકાશકો, એટલે કે જેમાં પ્રકાશક તરીકે લેખકનું ખૂદનું નામ હોય). હવે વિચાર કરો, બાળવાર્તાનાં ૧૮૪, બાળગીતોનાં ૫૦, સંદર્ભ સાહિત્યનાં ૪૭, નાટકનાં ૧૧, નવલકથાનાં ૩ અને જીવનચરિત્રનાં ૫૩, એમ બાળસાહિત્યનાં કુલ ૩૪૮ પુસ્તકો આ ૬૧ પ્રકાશકોએ મળીને બે વર્ષમાં પ્રકાશિત કર્યાં હોય એ શિષ્ટસમાજમાં, અને ખાસ કરીને એમાંનાં જ બાળસાહિત્યકારોની હાજરીમાં, બાળસાહિત્યના પ્રકાશનની સામે કોઈ પડકાર હોવાની વાત હું કયા મોઢે કહી શકું, અને તમે કયા કાને સાંભળી શકો! કોઈ પડકાર હોત, તો આટલાં પુસ્તકો પ્રકાશિત થયાં કઈ રીતે હોત?

ઉલટું, હું તો ગણાવવા માગું છું, કે બાળસાહિત્યનું પ્રકાશન કેટલું સરળ બની ગયું છે આજકાલ! એક સમય હતો કે જ્યારે, ગીજુભાઈ બધેકા કે જગદીપ વીરાણી જેવી બાળકોની નાડ પારખી શકતી કલમોને જ, કે પછી આખી જિંદગી બાળસાહિત્યની સેવા માટે ખરચી નાખનારા યશવંતભાઈ જેવા આજીવન ભેખધારીઓને જ પ્રકાશકો ભાવ આપતા હતા. પરિસ્થિતિ આજે સાવ એવી નથી રહી! આજે તો એક નવોદિત લેખક કે ગીતકાર, કોઈ સ્થાપિત સાહિત્યકાર જેટલા જ હક્ક સાથે પ્રકાશકનો સંપર્ક કરીને પોતાના બાળસાહિત્યનું પ્રકાશન કરાવી શકે છે! હા, પ્રકાશક પાસે જતી વેળાએ આપણી પાસે થોડી ત્રેવડ જરૂર હોવી જોઈએ. આપણે નવોદિત હોઈએ, તો આપણી પાસે પૂરતાં કાવડિયાં હોવા જોઈએ, જે લઈને પ્રકાશક આપણી કલમને પુસ્તકનું સ્વરૂપ આપી દેતો હોય છે. આપણે સ્થાપિત સાહિત્યકાર હોઈએ, તો આપણી પાસે આવનાર નવોદિતોને આપણે કોઈને કોઈ પ્રકાશક પાસે લઈ જઈને આંગળી ચિંધ્યાનું ‘પુણ્ય’ કમાવાનું રહે છે. કેટલા નવોદિતોને લઈ જવાથી સ્થાપિત લેખકનું એક પુસ્તક પ્રકાશિત થઈ શકે, એ ગણતરી અમારા જેવા નવોદિતોને જાણવા મળતી નથી. તેના માટે અમૂક નવોદિતોને પાંખમાં લઈને ‘સ્થાપિતો’ની યાદીમાં જોડાવું પડે, તો ખબર પડે! આમ, ગજવામાં પૂરતાં કાવડિયાં, કે પછી પાંખમાં થોડા નવોદિત લેખકો, આટલી મૂડી ધરાવતા હોય એવા લેખકોના બે વર્ગને આસાનીથી પ્રકાશક મળી રહે છે. રહી વાત સિદ્ધહસ્ત લેખકોની! તો ભાઈ, તમારી કલમ નીવડેલી હોય, કોલેજોમાં તમારા પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે ચાલતાં હોય, પ્રકાશકોને તમારા નામે સિક્કા પડતા હોય, તમારાં ફોટાવાળાં, ગલીપચી કરાવતાં પુસ્તકો યુવકોમાં ચણીબોરની માફક ઊપડતાં હોય, તો-તો તમને ભાઈ રોયલ્ટી પણ મળી રહેવાની!

કોને નડી રહ્યા છે બાળસાહિત્યના પ્રકાશનના પડકારો એ તો જણાવો ભાઈ? અને સવાલ એ થાય છે, કે બાળસાહિત્યના પ્રકાશનની સામેનો પડકાર આપણે કોને ગણીશું?

પ્રકાશકોની ફરમાઈશ મુજબ (લખીને કે સંપાદન કરીને) પુસ્તકોના ઢગલા ખડકી દેનારા વર્ગને તો પ્રકાશનનો કોઈ પ્રશ્ન કે પડકાર નથી નડી રહ્યો! દાખલા આપું? ભુપેન્દ્ર વ્યાસ ‘રંજ’, ‘ગીધ’ નામના બાળકાવ્યમાં “શોધી કાઢી મડદાં, સંપીજંપી સાથે ઉજાણી જાણી કીધ, અમે ગીધ.” જેવું ચીતરી ચડે તેવું “બાળકાવ્ય” લખે, કે પછી સાકળચંદ પટેલ ‘મારી બચુકથાઓ’ પુસ્તકને શીશુકથાઓ ગણાવીને, નાનાભાઈને લેવા માટે દવાખાને જતાં, અને ગરીબીને કારણે ગર્ભપાત કરાવીને પાછા આવતાં મા-બાપની વાર્તા બાળકના મોઢે આલેખે, સેંધાભાઈ રબારી ‘રમ રમ રમ બાલુડા રમ’માં ‘નિરોગી વર્ષની સફળતા’, ‘પ્રજ્ઞા નિશાળે ભણવા દે’, ‘ખેલ મહાકુંભ’, ‘પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, ‘વાંચે ગુજરાત’, ‘સ્વર્ણિમ ગુજરાત’ જેવા કાવ્યો લખીને બાળકાવ્યને સરકારી પ્રચારનો મંચ બનાવે, કે તથાગત પટેલ ‘અમારું છે કોઈ?’ પુસ્તકમાં, મા-બાપને ઘરડાઘરમાં મૂકવાની, ગુટખા-સિગારેટ સામેની કે પિતા દુધના પૈસામાંથી દારુ ખરીદતા હોવાની ફરિયાદો બાળ-કિશોર વાર્તાઓમાં આપે, પરંતુ એમનાં પુસ્તકો પ્રકાશકો દ્વારા પ્રકાશિત થાય જ છે! આપણે માનીએ, કે આપણી સાહિત્ય અકાદમી ગુણવત્તાના આધારે જ પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપતી હશે. પણ આવાં પુસ્તકોને પ્રકાશિત કરવા માટે પણ સાહિત્ય અકાદમી આર્થિક સહાય આપે છે, એ કેવી કરૂણતા કહેવાય?

છે કોઈ પ્રકાશનના પડકારો અહીં?

આ લેખકો અને તેમના પ્રકાશકો, આવું બધું આપીને કઈ રીતે બાળકોનું મનોરંજન અને મનોઘડતર કરે છે? અને મને ખાતરી છે, કે આ લેખકોને પ્રકાશનના કોઈ જ પડકારો નડતા નહીં હોય! ઉલટાં, સાહિત્યની ગુણવત્તાને બદલે પુસ્તકોની સંખ્યાના આધારે આવા લેખકોને અને પ્રકાશકોને નવા-નવા મંચ મળતા રહે છે, અને પ્રતિષ્ઠિત મંચો દ્વારા તેમને પુરસ્કૃત પણ કરાતાં જોવામાં આવે છે.

કોને નડે છે આ પડકાર એ તો કહો?

હા એક વર્ગને આ પડકાર નડી રહ્યો હશે. જેમણે પોતાના પુસ્તકોની સંખ્યા નહીં, માત્ર અને માત્ર બાળકોને ધ્યાનમાં રાખીને ગુણવત્તાભર્યું બાળસાહિત્ય રચવું છે, જેને પોતાનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે પ્રકાશકને એક પણ રૂપિયો નથી આપવો, અને સામી રોયલ્ટી માગવી છે, એ વર્ગને પ્રકાશનના પ્રશ્નો જરૂર નડતા હોઈ શકે! એક દાખલો આપું. મારા બાળકાવ્યોના પુસ્તકને અકાદમીનું પારીતોષિક પ્રાપ્ત થયું, ત્યારે એક જાણીતા પ્રકાશકે ફોન કરીને આ પુસ્તકની બીજી આવૃત્તિ કરવા માટે ઑફર આપેલી. અને ફોન પર જ મેં તેમને પૂછેલું કે મને રોયલ્ટી કેટલી આપશો, ત્યારે એમણે બેશરમીથી નન્નો ભણી દીધો હતો. વર્ષ ૨૦૦૭માં અશ્વિનની એક લઘુકથાને, સાહિત્ય પરિષદના જ હોલમાં ‘સાધના’ પારિતોષિક આપતી વેળાએ શ્રી હર્ષદ ત્રિવેદીએ કરેલી ટકોર મને યાદ આવે છે. એમણે કહેલું, કે “આપણે આશા રાખીએ, કે આવનારા વર્ષોમાં લઘુકથાઓનું ચયન બહાર પડે, અને આ વિજેતા લઘુકથાઓને તેમાં સ્થાન મળે”. સાત વર્ષ વીતી થયાં એ વાતને, પણ કોઈ પ્રકાશકે એ પારીતોષિક વિજેતા લઘુકથાઓને કોઈ ચયનમાં સ્થાન ન આપ્યું. વર્ષ ૨૦૦૮માં પ્રકાશિત થયેલા મારા પુસ્તક “વારતા રે વારતા” પુસ્તકને અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૧૨-૧૩માં પ્રકાશિત “મનપસંદ બાળવાર્તાઓ”ના ત્રીસ પુસ્તકોના સંપાદન સમયે સંપાદક કે પ્રકાશકના ધ્યાનમાં મારી એક પણ બાળવાર્તા ધ્યાનમાં નહીં આવી હોય? એ જ રીતે અશ્વિનના પુસ્તક ‘રખડપટ્ટી’ને પણ ૨૦૦૭માં બાળસાહિત્ય અકાદમી દ્વારા વિજ્ઞાન વિષયક શ્રેષ્ઠ બાળવાર્તાઓનું પારિતોષિક અપાયું હતું. પરંતુ આટલાં વર્ષોમાં આ પ્રકાશકોનું ધ્યાન અમારાં પુસ્તકો તરફ ગયું જ નહીં હોય? કોઈ પ્રકાશક કે સંપાદક, પોતાના સંકલન કે પ્રકાશન કરવાના સમયે અકાદમી, પરિષદ કે બાળ સાહિત્ય અકાદમી દ્વારા નવાજવામાં આવતાં પુસ્તકની યાદી તરફ નજર નાખતા હશે કે નહીં એ જ સમજાતું નથી.

એટલે, કોઈ લેખક મને એમ કહે, કે એણે પોતાના પુસ્તક માટે પ્રકાશકને એક પણ પૈસો નહોતો આપ્યો, તો મારું મન તો તેમની વાત માનવાની ના જ પાડતું હોય છે. પારીતોષિક વિજેતા કૃતિઓના પણ જો આ હાલ હોય, તો પછી અન્ય લેખકોને પ્રકાશકો કઈ રીતે લાભ આપે? હા, લેખક પાસેથી કોપીરાઈટ પડાવી લઈને મામુલી રકમ પકડાવી દેવાના કિસ્સાઓ ઘણા જોયા છે, જેમાં લેખકને આત્મસંતોષ થાય, કે આપણને તો પ્રકાશકે સામેથી રોયલ્ટી આપી છે. પરંતુ કોપીરાઈટના ભોગે મળતી રકમને રોયલ્ટી ગણાવી શકાય નહીં.

એટલે, પ્રકાશનનો પ્રશ્ન કે પડકાર નડે છે પ્રકાશકની ચુંગાલમાં ફસાવા માગતા ન હોય, એવા લેખકોને.

અગાઉ બાળસાહિત્યના મંચ પરથી અને તેની માસિક પુસ્તિકા દ્વારા પણ, ઘણી વખત આ પ્રકારની ચર્ચા છેડવામાં આવી છે, અને મોટા ભાગે કંઈ નક્કર કાર્યવાહી, સચોટ માર્ગદર્શન કે પરીણામોની જાહેર જાણકારી વગર એ ચર્ચાઓ અધૂરી રહીને શમી જવા પામી છે. ત્યારે આ તબક્કે હું પ્રકાશનના અમારા અનુભવો અને રસ્તાઓની વાત ટૂંકમાં અહીંથી કરવા ઇચ્છું છું. હા, એવું બને, કે જુદા-જુદા સમયના અનુભવો દરેક તબક્કે કામ લાગે જ એવું નથી બનતું. જેમ કે, અમારા બંનેનાં પહેલાં પુસ્તક ૬૪ પાનાનાં હતાં. બંને પુસ્તકોને ૨૦૦૭માં અકાદમી તરફથી પાંચ-પાંચ હજારની સહાય મળી હતી. અમારા ગામના હિતેચ્છુઓએ અમને સલાહ આપી હતી, કે “આવો, ફલાણા કે ઢૂંકણા પ્રકાશ પાસે જઈએ, પાંચ હજાર એમને આપી દેવાના, તમારા નામે પુસ્તક એ કરી આપશે.” પહેલા પચીસ અને પછી પચાસેક કોપીની લાલચ, અકાદમીની ૧૫ કોપી પણ પ્રકાશ જ મોકલી આપે… વળી પ્રકાશકને કારણે તમારાં પુસ્તકોનો ફેલાવો પણ બહુ થાય… વગેરે, વગેરે…

પરંતુ અમે એ જાળમાં ન આવ્યાં. ઘરના કોમ્પ્યુટર પર જ અમે એ પુસ્તકો જાતે ટાઈપ કરીને તૈયાર કર્યાં, ઇન્ટરનેટ પરથી વિનામુલ્યે ઉપલબ્ધ થઈ શકે તેવાં, અને બજારમાંથી થોડા પૈસા ખરચીને ચિત્રોની સીડી ખરીદીને ચિત્રો એકઠાં કર્યાં, અને અકાદમીની પાંચ હજારની સહાય સામે બીજા પાંચ હજાર ખરચ્યા. બદલામાં એક ઓફસેટ પ્રિન્ટરે અમારા બંને પુસ્તકોની પાંચસો-પાંચસો નકલો અમારા હાથમાં મૂકી. માત્ર દસ રૂપિયામાં એક નકલ પડી હતી અમને! આજે ગણવા જઈએ તો કાગળ અને પ્રિંટિંગના ભાવો વધ્યા હોવાને કારણે નકલ થોડી મોંઘી પડે. નકલ દીઠ ટપાલટીકીટના બીજા પાંચ રૂપિયા ખરચીને અમે એ પાંચસોએ પાંચસો નકલો એવા હાથમાં મૂકી જેઓ એ પુસ્તકોનાં ખરા હકદાર હતા! અને એ હાથ હતા બાળકોના! એમાં ઝૂંપડપટ્ટીની શાળાનાં એવાં બાળકો પણ સામેલ હતાં જેમનાં મા-બાપ ક્યારેય પૈસા ખરચીને પોતાના બાળકોને બાળસાહિત્યનું પુસ્તક અપાવવાનાં ન હતાં. આ હતી અમારી ખરી કમાઈ અમારા પ્રકાશનના ધંધામાં! અને તો પણ અમે ખોટમાં નહોતા ગયા. પાંચ હજાર રૂપિયા પ્રકાશકને આપીને પચીસ-પચાસ નકલો લઈને અમે કરવાના શું હતાં એ નકલોનું?

એ પછી પણ અમે અમારાં ત્રણ પુસ્તકો જાતે પ્રકાશિત કર્યાં, અને અમારા અન્ય લેખક મિત્રોનાં પણ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરવામાં મદદ કરી. એકંદરે પ્રકાશક તરીકેનો અમારો અનુભવ એકદમ સુખદ અને સંતોષપ્રદ રહ્યો છે. અને અનુભવે આજે અમે એટલાં સમૃદ્ધ થયાં છીએ, કે આજે આ મંચ પરથી અહીં બેઠેલા લેખક મિત્રો વચ્ચે એ અનુભવ ટાંકીને સ્વપ્રકાશનનું બીડું ઝડપવા માટે આગ્રહ કરી શકીએ તેમ છીએ. લેખક મંડળમાં ફોન કરશો એટલે અમારો ફોન નંબર તમને મળી રહેશે, અને અમને ફોન કરશો, એટલે તમારું પુસ્તક તમે કઈ રીતે જાતે, સરળતાથી, પ્રકાશિત કરી શકો તેની વિગતો અમે તમને જણાવીશું અને અમારાથી શક્ય એટલી સહાય પણ કરીશું.

બાળસાહિત્યના પ્રકાશનના માર્ગ બહુ જ સરળ છે. એક, કાં તો પચીસ-પચાસ હજાર રૂપિયા ગુંજામાં રાખો. બે, પાંચ-દસ નવોદિતોને પાંખમાં લઈને એમના પચીસ-પચાસ હજાર રૂપિયા કોઈ પ્રકાશકને અપાવો, અને ત્રણ, સ્વપ્રકાશનનો માર્ગ અપનાવો.

બોલો, છે કોઈ પડકાર બાળસાહિત્યના પ્રકાશનની સામે? મંચ હજી ખૂલ્લો જ છે.

*

4 responses to this post.

  1. સાહિત્યના પવિત્ર ક્ષેત્ર માં પણ આ રીત ચાલે છે તે જાણી ને દુખ થયું.
    Very informative, eye opening and encouraging speech.

    જવાબ આપો

    • Posted by અશ્વિન-મીનાક્ષી on માર્ચ 8, 2015 at 7:24 પી એમ(pm)

      આભાર યોગેશભાઈ. આ ક્ષેત્રમાં પણ આવું
      ચાલે છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે આ એક પ્રયાસ કર્યો હતો.

      જવાબ આપો

  2. bahut khoob Minaxiji. likh me aapaka gahan adhyayan to spasht dikhai deta hai parantu jis bebaki se aur samvad shailee me aapne apani bat rakhi ek bar fir kahana hoga..i’m proud of you. keep it up. kranti

    જવાબ આપો

    • Posted by અશ્વિન-મીનાક્ષી on માર્ચ 8, 2015 at 7:28 પી એમ(pm)

      आभार क्रांति जी. लोगों को जागरूक करने का प्रयास किया है। और इस के लिए इस बेबाकी की आवश्यकता है।

      જવાબ આપો

Leave a comment